આવતીકાલે કોંગ્રેસેનું રાજકોટ બંધનું એલાન: ભષ્ટ્રાચારના કારણે લોકોના જીવ ગયા હોવાનો અમિત ચાવડાનો સરકાર પર આક્ષેપ, 27 લોકોની જીંદગી હોમાઈ ગઈ
- 24 Jun, 2024
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 જેટલા નિર્દોષ લોકોની જિંદગી તંત્રની બેદરકારી અને સંચાલકોની ભૂલના કારણે હોમાઈ ગઈ છે. જેને લઈ આવતીકાલે રાજકોટ બંધનું એલાન કોંગ્રેસે આપ્યું છે. ત્યારે પીડિત પરિવારના ન્યાય માટે રાજકોટ બંધનું એલાન આપી પીડિત પરિવારને સહભાગી થવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે આ મામલામાં SITએ તપાસ કરીને રિપોર્ટ સુપરત કર્યો છે. જોકે હજી આ અંગેનો રિપોર્ટ હાઈકોર્ટમાં સુપરત કરવામાં આવ્યો નથી.
નોંધનીય છે કે, અગ્નિકાંડમાં તપાસ માટે રચાયેલી એસઆઈટી ટીમ પરત ફરી છે, હવે અગ્નિકાંડમાં લેવાયેલા નિવેદનો પર એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. રાજકોટમાં અધિકારીઓ અને કર્મચારીઓના નિવેદનો પર આ રિપોર્ટ તૈયારા કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
કોંગ્રેસે પીડિત પરિવારના ન્યાય માટે બંધના એલાનમાં જોડાઈને સમર્થન કરવા અપીલ કરી છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ બંધને સમર્થન કરવા અપીલ કરી કરી છે તો સાથો સાથ પીડિત પરિવારોને હજુ સુધી ન્યાય નહી મળ્યાનો આક્ષેપ કર્યો છે. ભ્રષ્ટાચારના કારણે ગેમઝોન અગ્નિકાંડમાં નિર્દોષ લોકોના જીવ ગયા હોવાનો આક્ષેપ કરાયો છે. સાથો સાથ સરકારમાં બેઠેલા લોકોના કારણે રાજકોટનો અગ્નિકાંડ સર્જાયાનો આક્ષેપ કર્યો છે.
અમિત ચાવડાએ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, પીડિત પરિવારો આજે પણ ન્યાય માટે લડી રહ્યા છે. સરકારમાં બેઠેલા લોકોના કારણે રાજકોટમાં અગ્નિકાંડ થયો છે. સરકારના ભ્રષ્ટાચારના કારણે રાજકોટમાં લોકોના જીવ ગયા છે.
રાજકોટમાં TRP અગ્નિકાંડમાં વધુ 3 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા હતા. અગ્નિકાંડની તપાસમાં ક્રાઇમબ્રાન્ચે વધુ આરોપીઓની ધરપકડ કરી હતી. અગ્નિકાંડની તપાસમાં આઇ.વી.ખેર, ભીખા ઠેબા અને મહેશ રાઠોડની પોલીસે ધરપકડ કરી હતી. જેને લઇને આજે કોર્ટમાં આરોપીઓને રજૂ કરી ત્રણેય આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. મહત્વનું છે કે SITની તપાસ સાથે ક્રાઇમબ્રાન્ચ અને પોલીસ પણ સતત અગ્નિકાંડમાં વિવિધ લોકોની પૂછપરછ કરી તપાસ ચલાવી રહ્યા છે.